ગુજરાત રમખાણો સાથે જોડાયેલા કેસોમાં નિર્દોષ લોકોને ફસાવવા માટે ખોટા પુરાવા બનાવવાના આરોપમાં પૂર્વ IPS અધિકારી આરબી શ્રીકુમાર અને સંજીવ ભટ્ટની સાથે તિસ્તા સેતલવાડની ધરપકડ કરવામાં આવી છે. કોર્ટમાં SIT ના સોગંદનામામાં કહેવામાં આવ્યું છે કે, સેતલવાડનો રાજકીય ઉદ્દેશ ચૂંટાયેલી સરકારને અસ્થિર કરવાનો હતો. ગુજરાતમાં નિર્દોષ લોકોને ખોટી રીતે ફસાવવાના તેમના પ્રયત્નોના બદલામાં હરીફ રાજકીય પક્ષ તરફથી તેમને ગેરકાયદે નાણાકીય અને અન્ય લાભો મળ્યા હતા.
કોંગ્રેસે આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા
કોંગ્રેસના નેતા જયરામ રમેશે નિવેદનમાં કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી અહેમદ પટેલ પર લાગેલા આરોપોને નકારે છે. રાજકીય બદલો લેવાનું મશીન રાજકીય વિરોધીઓને પણ છોડતું નથી. જે વ્યક્તિ આ દુનિયામાં નથી અને અસત્યનું ખંડન ન કરી શકે એવા લોકોને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે.
આ પણ વાંચો – યૂપીનો દરેક ખુણો નવા સપના સાથે દોડવા તૈયાર, આ જ સબકા સાથ, સબકા વિકાસ : PM મોદી
અહેમદ પટેલના કહેવાથી તીસ્તા સેતલવાડને મળ્યા 30 લાખ રૂપિયા
સાક્ષીના નિવેદનો ટાંકીને SITએ પોતાના સોગંદનામામાં જણાવ્યું છે કે, આ ષડયંત્ર દિવંગત અહેમદ પટેલના ઈશારે રચવામાં આવ્યું હતું. SITએ આરોપ લગાવ્યો છે કે, સેતલવાડને 2002ના ગુજરાત રમખાણો પછી અહેમદ પટેલ પાસેથી 30 લાખ રૂપિયા મળ્યા હતા. SITએ વધુમાં દાવો કર્યો હતો કે, તિસ્તા સેતલવાડ ગુજરાત રમખાણોના મામલામાં તત્કાલીન ભાજપ સરકારના વરિષ્ઠ નેતાઓને ફસાવવા માટે દિલ્હીમાં કેન્દ્રમાં સત્તામાં રહેલી એક પ્રમુખ રાષ્ટ્રીય પાર્ટીના નેતાઓને મળતી હતી.
સેતલવાડ કોંગ્રેસના ક્વોટામાંથી રાજ્યસભામાં જવા માંગતા હતા.
સોગંદનામામાં SITએ અન્ય એક સાક્ષીને ટાંકીને દાવો કર્યો છે કે, 2006માં તિસ્તા સેતલવાડે કોંગ્રેસના નેતાને પૂછ્યું હતું કે, પાર્ટી શા માટે ફક્ત શબાના અને જાવેદને જ તક આપી રહી છે અને તેને રાજ્યસભાના સભ્ય કેમ નથી બનાવતી? અહીં ઉલ્લેખનીય છે કે, ગયા મહિને ગુજરાત રમખાણોના કેસની SIT તપાસમાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને અન્યોને આપવામાં આવેલી ક્લીનચીટને સુપ્રીમ કોર્ટે માન્ય રાખ્યાના એક દિવસ પછી ગુજરાત પોલીસે તિસ્તા સેતલવાડની ધરપકડ કરી હતી.
SIT એ કોર્ટમાં તિસ્તાની સાથે અહેમદ પટેલનું પણ નામ લીધું
IPS આરબી શ્રીકુમાર અને સંજીવ ભટ્ટની સાથે તિસ્તા સેતલવાડ પર પોલીસે આઈપીસી કલમ 468 અને 194 હેઠળ ગુનો નોંધ્યો છે. ગુજરાત પોલીસની SITએ કોર્ટમાં તિસ્તાની જામીન અરજીનો વિરોધ કહ્યું હતું કે, તે ગુજરાતમાં ભાજપ સરકારને તોડવાના કાવતરાનો ભાગ છે. એસઆઈટીએ કોર્ટમાં કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલનું નામ પણ લીધું હતું.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: 2002 Riots, Gujarat News, પીએમ મોદી